ઉંમર વધવાની સાથે તમારામાં સમજણ પણ કેળવાય છે પણ સાથે-સાથે અમુક હૃદય સંબંધિત સમસ્યાઓ પણ તમારા જીવનનો ભાગ બને છે. વ્યક્તિની સાથે તેનું હૃદય પણ વૃદ્ધ થાય છે. જેમ વૃદ્ધાવસ્થા આવવાનાં કારણે માણસની કામ કરવાની ક્ષમતા ઘટે છે તેમ હૃદય વૃદ્ધ થતાં તેની પણ કાર્યક્ષમતામાં ઘટાડો આવે છે. નિષ્ણાંતોનાં મત મુજબ શરીરનાં અન્ય અંગોનાં વૃદ્ધાવસ્થાની અસર પણ હૃદય પર થાય છે. જો 65 વર્ષ કે તેથી વધુની ઉંમરનાં લોકોને વારંવાર શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુ:ખાવો કે નબળાઈ જેવો અનુભવ થાય તો તે હૃદયરોગનું લક્ષણ હોઈ શકે છે. તદુપરાંત, વૃદ્ધોમાં હૃદયની સૌથી સામાન્ય સમસ્યાઓમાંની એક સમસ્યા એ છે કે, હૃદયના ધબકારા ધીમે-ધીમે ઓછા થતા જાય છે, જે તમને ‘હાર્ટ ફેલ્યોર’ની સ્થિતિ તરફ દોરી શકે છે.
ઉંમર સાથે તમારા હૃદયમાં કેવા ફેરફાર જોવા મળે છે?
બેંગ્લોરમાં મિલર્સ રોડ પર આવેલી મણિપાલ હોસ્પિટલનાં કાર્ડિયોલોજી કન્સલટન્ટ ડૉ. સુનિલ દ્વિવેદીનાં મત મુજબ શરીરમાં હૃદય એ સ્વતંત્ર અંગ નથી. હૃદય, ચેતાતંત્ર અને રક્તવાહિનીઓ સાથે સંકળાયેલું છે. તે સતત તેનું કાર્ય કરે છે. હૃદય એક સેકન્ડ માટે પણ આરામ કરતું નથી. સતત કામ કરવાના કારણે એક સમય પછી તેની લોહી પમ્પિંગ કરવાની કાર્યક્ષમતા નબળી પડે છે અને તે તમને ‘હાર્ટ ફેલ્યોર’ની સ્થિતિ તરફ લઇ જાય છે.
નિષ્ણાંતોનાં મત મુજબ જે વ્યક્તિ તંદુરસ્ત છે, જેના કુટુંબમાં કોઈ જ હૃદયરોગ સંબંધિત બીમારીઓનો ઈતિહાસ ધરાવતું નથી તે વ્યક્તિનાં હૃદયમાં પણ 65 વર્ષની ઉંમર પછી ઉપરોક્ત ચર્ચા મુજબ અમુક પ્રકારની હૃદય સંબંધિત સામાન્ય સમસ્યાઓ જોવા મળે છે. બેંગ્લોરની એપોલો હોસ્પિટલનાં સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અભિજિત વિલાસ કુલકર્ણી ઉમેરે છે કે, હૃદયરોગ માટેનું સૌથી સામાન્ય અને અયોગ્ય જોખમી પરિબળ ઉંમર છે. વય સંબંધિત હૃદયની સમસ્યાઓને વ્યાપકપણે ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. આ ત્રણ કેટેગરીમાં હૃદયની સંચાલન પ્રણાલી, તેની પમ્પિંગ ક્ષમતા અને વાલ્વ-સંબંધિત સમસ્યાઓનો સમાવેશ થાય છે.
ડૉક્ટર્સ હૃદયરોગની ઓળખ કેવી રીતે કરે છે?
વૃદ્ધ લોકોમાં હૃદયરોગની ઓળખ કરવી પડકારજનક સાબિત થઈ શકે છે કારણ કે, મુખ્યત્વે તેના લક્ષણો વૃદ્ધાવસ્થાને સમાન હોય છે, જેથી તે લોકોને ધ્યાનમાં પણ નથી આવતા જેમ કે, શ્વાસની તકલીફ, એન્જાઈના અથવા છાતીમાં દુખાવો, સિન્કોપ (ચેતના ગુમાવવી), ચક્કર અને સોજો (પગનો સોજો) વગેરે સમસ્યાઓનો સમાવેશ થાય છે. તેઓ વધુમાં કહે છે કે, હૃદય સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યામાં સામાન્ય રીતે આમાંના એક લક્ષણ તરીકે જોવા મળે છે. તેથી, આ સમયે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ECG) અને ઇકોકાર્ડિયોગ્રામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બંને પ્રક્રિયાઓનાં કારણે આપણે હૃદયમાં થતી તકલીફને સચોટ રીતે સમજી શકીએ અને તેનું યોગ્ય નિરાકરણ લાવી શકીએ.
વધતી ઉંમર સાથે હૃદયમાં કઈ-કઈ સામાન્ય સમસ્યાઓ થાય છે?
૧. બ્રેડીકાર્ડિયા
ઉંમર વધતાં જ હૃદયમાં ઉદ્દભવતી સામાન્ય સમસ્યાઓમાંથી એક એટલે બ્રેડીકાર્ડિયા અથવા જો તેને બીજા શબ્દોમાં કહીએ તો હૃદયનાં ધબકારા ઘટી જવા. જ્યારે હૃદયનાં સ્નાયુઓ અને શરીરનાં ઇલેક્ટ્રીકલ ઇમ્પ્લસિસ વચ્ચે યોગ્ય સંકલન ન હોય ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે કે, જે તમારા હૃદયની પમ્પિંગ સિસ્ટમને પણ અસર કરે છે. ડૉ. કુલકર્ણીને વિસ્તૃતમાં સમજાવતા કહે છે કે, આના કારણે જ લોકો થાક, ચક્કર અનુભવે છે અને ઘણીવાર બેભાન પણ થઈ જાય છે. આ સમયે લોકો મૂંઝવણમાં મૂકાઈ જાય છે કે, શું થયું ? પરંતુ, તે સમય દરમિયાન બીજી કોઈ ગંભીર સ્થિતિ નથી હોતી બસ ઉંમરનાં કારણે તમારા હૃદયના ધબકારા ઘટવા લાગે છે.
૨. એટ્રિયલ ફાયબ્રિલેશન
ઉંમર વધવાની સાથે હૃદયની વહન પ્રણાલીને પણ અસર થઈ શકે છે. ડૉ. દ્વિવેદી જણાવે છે કે, હૃદયની અંદરની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ધીમી થવાની સાથે હૃદયના ધબકારા પણ ધીમા પડવા લાગે છે અથવા તો એકાએક વધી જાય છે. એટ્રિયલ ફાયબ્રિલેશનની સ્થિતિ પણ હૃદયની એ સામાન્ય સમસ્યાઓમાંની એક છે કે, જે તમને સ્ટ્રોકની સ્થિતિ તરફ દોરી શકે છે.
આ સ્થિતિમાં હૃદયમાં નાની-નાની ગાંઠ બને છે જેના કારણે હૃદયનાં ધબકારાને અસર પહોંચે છે અને હૃદયમાં થતા લોહીનાં ઉત્પાદનમાં ઘટાડો થવા લાગે છે. પરિણામે વ્યક્તિ ચેતના ગુમાવી બેસે છે અથવા ક્ષણિક ઇસ્કેમિક એટેક (TIA)નો શિકાર બને છે.
૩. અસ્થાયી ઈસ્કેમિક એટેક
જ્યારે મગજ સુધી લોહી યોગ્ય પ્રમાણમાં પહોંચતું નથી ત્યારે વ્યક્તિ TIA (ક્ષણિક ઇસ્કેમિક એટેક)નો શિકાર બની શકે. ડૉ. દ્વિવેદી સમજાવે છે કે, મગજ સુધી લોહીને પહોંચવામાં વિક્ષેપ ઊભી કરતી એક નાનકડી એવી સમસ્યા કૉલેસ્ટ્રૉલ પણ હોઈ શકે છે. તેનું મેકેનિઝમ હાર્ટ એટેક જેવું જ હોય છે.
૪. હાર્ટ વાલ્વનું લિકેજ
વૃદ્ધોમાં અન્ય સામાન્ય સમસ્યાઓમાંની એક સમસ્યા એ છે કે, હૃદયના વાલ્વનું નબળું પડવું. તેના કારણે તે એકદમ સાંકડા બને છે અને લિકેજની સમસ્યા ઉદ્દભવે છે. નિષ્ણાંતો કહે છે કે, કેલ્સિફિકેશનને કારણે એઓર્ટિક અને મિટ્રાલ વાલ્વ સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે. આ સ્થિતિને અનુક્રમે ‘એઓર્ટિક વાલ્વ સ્ટેનોસિસ’ અને ‘મિટ્રાલ વાલ્વ રિગર્ગિટેશન’ અથવા ‘લિકેજ હાર્ટ વાલ્વ’ તરીકે ઓળખવામાં આવે છે. એક વખત કેલ્શિયમનો થર એક જ જગ્યાએ જમા થયા પછી તે વાલ્વની સામાન્ય કામગીરી પર નોંધપાત્ર અસર કરે છે. ડૉ. કુલકર્ણીના મતે આના કારણે હૃદય જ્યારે સંકોચાય ત્યારે તેને ખોલવું મુશ્કેલ બને છે.
૫. કોરોનરી આર્ટરી ડિસીઝ
વૃદ્ધાવસ્થાને કારણે હૃદયના ભાગમાં કૉલેસ્ટ્રૉલ અને કેલ્શિયમનાં થર જામી જાય છે, જે તમારા શરીરમાં લોહીના અવરજવરને અસર કરે છે, એમ ડૉ. દ્વિવેદીએ જણાવ્યું હતું. કોરોનરી આર્ટરી ડિસીઝની સમસ્યા ધમનીમાં કૉલેસ્ટ્રૉલનાં નિર્માણને કારણે થાય છે. તે હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓને સંકુચિત કરે છે. આ સમસ્યાને ઓળખવાના કોઈ લક્ષણો નથી હોતા પણ તેનાથી છાતીમાં દુખાવો થઈ શકે અથવા હાર્ટ એટેક આવી શકે છે. આપણા શરીરને લોહી પહોંચાડતી રક્તવાહિનીઓની સ્થિતિ સ્થાપકતા પણ ઓછી થઈ જાય છે. તે ટટ્ટાર થઈ જાય છે, જે સિસ્ટોલિક બ્લડ પ્રેશરમાં વધારો કરે છે, જે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર કરતાં પણ વધારે છે.
6. બ્રોકન હાર્ટ સિન્ડ્રોમ
ડૉ. દ્વિવેદી આ સમસ્યા પર થોડો પ્રકાશ પાડતાં જણાવે છે કે, બ્રોકન હાર્ટ સિન્ડ્રોમની સમસ્યા ઇમોશનલ સ્ટ્રેસનાં કારણે ઉદ્દભવે છે. સામાન્ય રીતે આ સમસ્યા જીવનસાથીને ગુમાવ્યા બાદ વૃદ્ધ લોકોમાં જોવા મળે છે. આ ડિપ્રેશનનાં કારણે વ્યક્તિ હાર્ટ ફેલ્યૉર અથવા તો હાર્ટ એટેક જેવી ગંભીર સ્થિતિનો ભોગ પણ બની શકે છે.
૭. હાર્ટ ફેલ્યૉર
ડૉ. દ્વિવેદી સમજાવે છે કે, ‘વૃદ્ધત્વને કારણે હૃદયનાં સ્નાયુઓ અકડાવા લાગે છે. પરિણામે, હૃદયમાં લોહીનું પમ્પિંગ તો થતું રહે છે પરંતુ, તેને આરામ કરવા માટેનો સમય મળતો નથી. કાર્ડિયાક ફાઇબ્રોસિસને કારણે તે શરીરના અન્ય ભાગોમાંથી લોહી એકઠું કરી શકતું નથી. આનાથી શરીરમાં સોજો આવે છે, જે હાર્ટ ફેલ્યોર અથવા તો હૃદય સંબંધિત કોઈ અન્ય ગંભીર સમસ્યા તરફ તમને દોરી શકે છે.’
વૃદ્ધત્વમાં થતી હૃદય સંબંધિત સમસ્યાઓ અંગે અમુક વિશેષ સાવચેતીઓ
ડૉ. દ્વિવેદી જણાવે છે કે, ‘જેમ-જેમ તમારી ઉંમર વધતી જાય છે તેમ-તેમ તમારું વજન વધે છે, કારણ કે શરીરની રચના દર પાંચ વર્ષે મેટાબૉલિઝમના દરને ઘટાડવા માટે કરવામાં આવી છે. તેથી, તમે 5 વર્ષથી જે કસરતો અને આહાર અથવા કેલરીનું સેવન કરતા હો તે 5 વર્ષ પછીનાં સમયે સુસંગત રહેશે નહીં. હૃદયને તંદુરસ્ત રાખવા દર પાંચમાં વર્ષે તેમાં ફેરફાર કરવા જરૂરી રહેશે.’
તેઓએ એમ પણ ઉમેર્યું કે, તંદુરસ્ત જીવનશૈલી સારા સ્વાસ્થ્યની મૂળભૂત ચાવી છે અને તે નાનપણથી જ અનુસરવી જોઈએ. જીવનશૈલીની તંદુરસ્ત ટેવો તમે જેટલી જલ્દી પસંદ કરશો તેટલો વધારે લાભ તમને ઉંમરનાં છેલ્લા પડાવમાં મળશે. નિષ્ણાંતો વય-સંબંધિત હૃદયની સમસ્યાઓથી બચવા માટે નીચેના ઉપાયો સૂચવે છે:
- કૉલેસ્ટ્રૉલ, બીપી અને ડાયાબિટિસ જેવા જોખમી પરિબળોને નિયંત્રિત કરવા
- નિયમિત ચેકઅપ કરી ખાતરી કરવી
- એક્ટિવ જીવનશૈલીને જાળવવી
- સ્ટ્રેસ ઘટાડવો
- નિયમિત કસરત કરવી
- ધૂમ્રપાન અને આલ્કૉહોલનું સેવન ટાળવું
- પુરતી ઉંઘ લો