
પરિવારના બાકીના સભ્યો સૂઈ ગયા હોય અને ઊંઘ ન આવવાના કારણે બાળકો અડધી રાત્ર સુધી મોબાઈલમાં આડેધડ વીડિયો જોતા હોય કે પછી છત પર એકીટસ જોઈને વિચારોમાં ખોવાયેલા રહેતા હોય તો તે ચિંતાજનક છે. મોટાભાગનાં ઘરમાં તમને આ પ્રકારનું દ્રશ્ય જોવા મળતું હશે પણ જો તેને અવગણવામાં આવશે તો આ સમસ્યા ગંભીર બની શકે છે. નિષ્ણાંતોના મત મુજબ જ્યારે બાળકોને રાતે ઊંઘ ન આવતી હોય અને તેના કારણે સવારમાં પોતાના કામ સરખી રીતે ન કરી શકતા હોય તો તેને આળસુ કે કંઈ કામ વગરનો, નવરો એવા ટેગ આપવાની જગ્યાએ તેની સમસ્યા જાણીને તેની સારવાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ટીનેજર્સમાં અનિંદ્રા અને ઊંઘની સમસ્યા શેના કારણે થાય છે?
બેંગ્લોરની શિશુકા ચિલ્ડ્રન્સ હોસ્પિટલનાં ડિરેક્ટર, પીડિયાટ્રિક પલ્મોનોલોજિસ્ટ ડૉ. ભરત રેડ્ડી, કિશોરોમાં ‘ઊંઘના અભાવે વધતી જતી સમસ્યા વિશે ચર્ચા કરતા કહે છે કે , આળસુ જીવનશૈલી, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, સ્માર્ટ સ્ક્રીન અને ગેજેટ્સના સતત સંપર્કમાં રહેવું વગેરે જેવા પરિબળો બાળકોની ઊંઘ પૂરી ન થવા પાછળનાં જવાબદાર કારણો છે.
ડૉ. સ્ટેસી સિમોન, પીડિયાટ્રિક સ્લીપ સાયકોલોજિસ્ટ, એસોસિએટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ પેડિયાટ્રિક પલ્મોનરી જનરલ ઓપરેશન્સ, યુનિવર્સિટી ઓફ કોલોરાડો એક કિસ્સો યાદ કરતાં જણાવે છે કે, કોલોરાડોની એક 15 વર્ષીય છોકરી કે જે ઇન્સોમિયાથી પીડાતી હતી, જેની તેઓએ 2020માં સારવાર કરી હતી. આ કિશોરીની જીવનશૈલીએ પ્રકારની હતી કે, જેના કારણે રોજ તેનું ઊંઘવાનું શેડ્યુલ અસ્તવ્યસ્ત રહેતું. તેની ઊંઘ પૂરી ન થવાથી તેના સ્વાસ્થ્ય અને અભ્યાસ પર અસર પડી રહી હતી. સતત અનિયમિત જીવનશૈલીના કારણે એક સમય એવો પણ આવ્યો કે, આ કિશોરી આખી રાત સૂવાનો પ્રયત્ન કરતી તો પણ તેને ઊંઘ જ ન આવતી.
ડૉ. સિમોને વધુમાં જણાવ્યું કે, ‘તે આખી રાત સૂઈ ન શકવાના કારણે સવારે તેને ઊઠવામાં તકલીફ પડતી, તેની આંખો ઘેરાયેલી રહેતી. મોડા ઊઠવાના કારણે તે પરિવારને યોગ્ય સમય વિતાવી શકતી ન હતી, ન તો સરખી રીતે જમી શકતી. તેની આ જીવનશૈલીનાં કારણે પરિવારે તેને આળસુનું બિરુદ પણ આપી દીધુ હતું.’ જ્યારે તે પોતાની સમસ્યા સમજીને સારવાર માટે આવી ત્યારે તેણીની આ સમસ્યાને દૂર કરવા માટે ક્લોનોથેરાપી તરીકે ઓળખાતા વર્તણૂકીય અભિગમનો ઉપયોગ કર્યો. શરુઆતમાં થોડી તકલીફો પડી પરંતુ, ધીમે-ધીમે તેણીના સર્કાડિયન રિધમ (બોડી ક્લોક)માં સુધારો આવતા તેણીની આ સમસ્યા દૂર થઈ.
નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં ઉપલબ્ધ જર્નલ ઑફ અમેરિકન મેડિકલ એસોસિએશન (જામા સાઇકિયાટ્રી)માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ ક્રોનોથેરાપીને આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે: ‘એક એવો વર્તણૂકીય અભિગમ કે, જેમાં દર બે દિવસે ઊંઘ અને જાગવાના સમયમાં લગભગ 3 ક્લાક જેટલું સતત મોડું કરીને સર્કાડિયન રિધમ (બોડી ક્લોક)ને ફરીથી સેટ કરવામાં આવે છે, જ્યાં સુધી યોગ્ય ઊંઘ અને જાગવાનો યોગ્ય સમય પૂર્વનિર્ધારિત શિડ્યુલ મુજબ ન ગોઠવાય.’
ડૉ. સિમોન હાલ મેટાબોલિઝમ અને ઊંઘની ઊણપ સાથે સંકળાયેલા અમુક પરિબળો જેવા કે ઑબેસિટીની સમસ્યા , ઇન્સ્યુલિનમાં પ્રતિરોધની વહેલી શરૂઆત, કાર્ડિયોવાસ્ક્યુલર બીમારી, બાળકોની ઊંઘની ગુણવતામાં ફેરફાર પર અભ્યાસ કરી રહ્યા છે.
બાળકોની સૂવાની આદત બગાડવામાં મહામારીએ મહત્વનો ભાગ ભજવ્યો. ડૉ. રેડ્ડી અને ડૉ. સિમોનના જણાવ્યા અનુસાર કોવિડથી શરૂ થયેલી પરિસ્થિતિએ કિશોરોના ઊંઘવાના શિડ્યુલમાં ખલેલ પહોંચાડવામાં મહત્વનો ફાળો ભજવ્યો છે કારણ કે, આ સ્થિતિના પરિણામે બાળકોના ઊંઘવાનાં સમયમાં અને ઊઠવાનાં સમયમાં ફેર પડ્યો છે. તેઓ ઉમેરે છે કે, લોકડાઉન દરમિયાન બાળકો ઑનલાઇન અભ્યાસ કરી રહ્યાં હતાં અને તેમના માટે ગેજેટ્સનો ઉપયોગ અનિવાર્ય હતો. જેથી આ ગેજેટ્સનો ઉપયોગ કરવાનો કીડો બાળકોના મગજમાં એ હદ સુધી ઘૂસી ગયો કે, તેના માટે તેઓએ જાણેઅજાણે પોતાની ઊંઘના કલાકો ઘટાડવાનું શરુ કર્યું. આ સમય દરમિયાન ડૉક્ટરોએ નોંધ્યું કે, બાળકોમાં વજન વધવાનું પ્રમાણ વધ્યું છે. નાની-નાની ઉંમરના બાળકો પણ ટાઇપ-2 ડાયાબિટીસની સમસ્યાના શિકાર બની રહ્યા છે. મહામારી પછીના સમયમાં બાળકોમાં ચુસ્ત જીવનશૈલી અને કસરતનો અભાવ જોવા મળ્યો છે.
કિશોરોમાં ઊંઘની સમસ્યાનો ઉપાય
નિષ્ણાંતોએ બાળકોમાં થતી ઊંઘની સમસ્યાને દૂર કરવા માટેની સારવારની અમુક રીતો સમજાવી છે:
૧. બ્રાઇટ લાઇટ થેરાપી
શરીરની એક આંતરિક ઘડિયાળ હોય છે, જે સર્કાડિયન રિધમ દ્વારા ચાલતી હોય છે. તે આપણા સૂવા અને જાગવાના સમયને નિયંત્રિત કરે છે. જ્યારે તેમાં કોઈ ખામી સર્જાય છે ત્યારે સર્કાડિયન રિધમને સામાન્ય કરવા માટે લાઇટ બોક્સ દ્વારા કૃત્રિમ પ્રકાશ પૂરો પાડવામાં આવે છે. તે તેમને સવારે ઉઠાડીને અને લાઇટ બોક્સના સંપર્કમાં લાવીને કરવામાં આવે છે, જેથી દિવસ દરમિયાન મેલાટોનિનનું ઉત્પાદન બંધ થઈ શકે. પ્રૉફેસર સિમોને હેપ્પીએસ્ટ હેલ્થને જણાવ્યું હતું કે, ‘જાગ્યા પછી તરત જ તેનો ઉપયોગ કરવાથી સૂર્યપ્રકાશ જોવો અનુભવ છે.’ ખાસ કરીને પશ્ચિમી દેશોમાં શિયાળામાં, જ્યાં દિવસનો પ્રકાશ ઓછો હોય ત્યાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
૨. સૂવાનો સમય આગળ ધપાવવો
ડૉ. રેડ્ડીનાં જણાવ્યા અનુસાર, આ માટેનો એક અસરકારક ઉપાય એ છે કે,વ્યવસ્થિત સુઈ ન શકતા બાળકોનો ઊંઘનો સમય થોડો વહેલો કરો . આ બાબતને સમજાવતા ડૉ. રેડ્ડી જણાવે છે કે ભારતમાં બાળકોની અનિંદ્રાની સમસ્યાને દૂર કરવા માટે અપનાવવામાં આવતી એક રીતનું ઉદાહરણ આપીને સમજાવ્યું. ઉદાહરણ તરીકે, ‘જો બાળકને બપોરે 2 વાગ્યા સુધીમાં જ ઊંઘ આવતી હોય તો અમે તેને અડધો કલાક અથવા એક કલાક વહેલા સુવડાવવાનો પ્રયાસ કરો અને ધીમે-ધીમે તેને આ સમયને રાત્રે 10 વાગ્યા સુધી પહોંચાડીને બાળકને વહેલા સુવડાવી શકાય.’
૩. કાઉન્સેલિંગ
જ્યારે અપુરતી ઊંઘના કારણે ઘણા લોકો આળસ અથવા હતાશા, સામાજિક એકલતાથી પીડાતા હોય છે ત્યારે તેમની ઊંઘની સમસ્યાઓનું નિરાકરણ લાવવું ખૂબ જ જરુરી છે. ડો. રેડ્ડી કહે છે કે,‘સારવાર કરનાર ચિકિત્સકે ઊંઘની સમસ્યાઓને ઓળખીને, જો જરૂર પડે તો આવા કિસ્સાઓમાં નિષ્ણાંતોને મોકલી તેઓની પાસેથી સલાહ લેવી જોઈએ કે, આવા કિસ્સામાં નિવારણ માટે શું-શું કરી શકાય તે અંગે ચર્ચા-વિચારણા કરવી જોઈએ. જો સમસ્યા ઊંઘની હોય, તો તેમને એન્ટિ-ડિપ્રેસન્ટ્સ આપવાથી કોઈ ફાયદો થશે નહીં’ આ વાતને આગળ વધારતા તેઓ કહે છે કે, ‘વાસ્તવિક સમસ્યા પર ચર્ચા કરવાની અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે. તે ઊંઘ અને જાગવાના સમયને રેકોર્ડ કરવા માટે ઉંઘની ડાયરી જાળવવાનું સૂચન કરે છે.’
૪. ક્રોનોથેરાપી
સૂવાનો સમય બદલવાની અને દરરોજ 2-3 કલાક જાગવાની એક પદ્ધતિ, જેથી સમયસર ન ઊંઘ શકતા બાળકો અથવા પુખ્ત વયના લોકો ધીમે-ધીમે રાતે સમયસર સુવાની સાઇકલમાં આવી જાય છે. પ્રો. સિમોન આ બાબતને એક ઉદાહરણ સાથે સમજાવે છે કે, ‘જો કોઈ છોકરીને સવારે પાંચ વાગ્યે ઊંઘ આવતી હોય તો અમે તેને ૩ કલાક વધુ જગાડીને તેની ઊંઘવાની સાયકલ સવારમાં ૮ વાગ્યાની કરીએ છીએ. આ ૩ કલાકની સાયકલ ત્યાં સુધી ચાલુ રાખીએ છીએ કે, જ્યાં સુધી તેનો સુવાનો રેગ્યુલર સમય રાતે અને ઊઠવાનો વહેલી સવારે ન પહોંચી જાય.’
૫. મેલાટોનિન સપ્લિમેન્ટ્સ
અનિંદ્રા પાછળનું એક કારણ મેલાટોનિનની ઉણપ છે, જેને તમે સ્લીપ સપ્લિમેન્ટ્સ દ્વારા દૂર કરી શકે છે. જો કે, આ સપ્લિમેન્ટ્સ વ્યક્તિની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરિયાતને આધારે આપવામાં આવે છે. ડૉ. રેડ્ડીએ જણાવ્યું હતું કે, ‘મેલાટોનિન ઊંઘને પ્રેરિત કરનારું હોર્મોન છે. સપ્લિમેન્ટ્સ ફક્ત તે જ લોકોને આપવામાં આવે છે, જેમને બિલકુલ જ ઊંઘ ન આવતી હોય. તે રાત્રે એક ચોક્કસ સમયે આપવામાં આવે છે, જેથી તેઓની ઊંઘ આવે અને સર્કાડિયન રીધમમાં સુધારો થાય.’
૬. મોર્નિંગ વોક
ડૉ.રેડ્ડીએ જણાવ્યું હતું કે અનિદ્રાની સારવારનું એક મહત્ત્વનું પાસું છે કે, બાળકને મોર્નિંગ વોક માટે પ્રોત્સાહિત કરવો. સવારે તડકામાં બહાર રહેવાથી ઘણો ફરક પડે છે કારણ કે, જ્યારે વ્યક્તિમાં વિટામિન-ડીનું પૂરતા પ્રમાણમાં એબસોર્બ થાય છે ત્યારે મેલાટોનિન હોર્મોનનું ઉત્પાદન સારું થાય છે. આથી, ઊંઘની સમસ્યાને દૂર કરવા માટે સૂર્યપ્રકાશની વચ્ચે વહેલી સવારે ચાલવું મદદરૂપ થઈ શકે છે.
૭. આઉટડોર ગેમ્સ
ડૉ. સિમોન કહે છે કે, જે બાળકો આઉટડોર ગેમ્સમાં રમે છે તેઓને સારી ઊંઘ આવે છે. જ્યારે પણ ઊંઘની સમસ્યાવાળા બાળકોના માતા-પિતાને તેમને મળે છે ત્યારે તેઓને બાળકોને આઉટડોર ગેમ્સથી પરિચિત કરાવવા માટે પ્રોત્સાહિત કરે છે અને કહે છે કે, બસ બાળકને કોઈપણ એક શારીરિક પ્રવૃતિ સાથે જોડી દો. તે તેની સમસ્યાના નિદાનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે
યાદ રાખવા જેવી બાબતો
ઊંઘ ન આવવાની સમસ્યાની સારવારની પદ્ધતિઓ વિશે વિસ્તૃત વર્ણન કરતા ડૉકટર્સ કહે છે કે, બાળકોમાં ઊંઘની સમસ્યા એ વધતી જતી ચિંતા છે અને તેમાં વિવિધ પરિબળો જવાબદાર છે, જેમ કે ગેજેટનો વધુ પડતો ઉપયોગ, કસરતનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે. આ સમસ્યાને ઓળખવી અને તેનું સમયસર નિરાકરણ લાવવું એ સમયની માંગ છે