છીંક આવવાથી આપણને ઘણી જ રાહત મળે છે પરંતુ ઘણીવાર જાહેરમાં સામાજિક કારણોથી લોકો એક પ્રકારની મુંજવણમાં મુકાઇને છીંક રોકવાનો કરવાનો પ્રયાસ કરે છે. જો કે છીંકને કાબૂમાં રાખવાની ઇચ્છા છીંકવાની ક્રિયા જેટલી જ સ્વાભાવિક છે. દુનિયામાં કોવિડના સામે આવ્યા પછીથી આ વિચાર વધુ વ્યાપક બન્યો છે. જો કે આ ક્રિયા શરીર પર સંભવિત જોખમી અસરો કરી શકે છે. સતત, અનિયંત્રિત છીંક આવવી તે એલર્જીકની નિશાની હોઈ શકે છે.
આથી શા માટે છીંક આવે છે અને શા માટે છીંકને કાબૂમાં ન રાખવી જોઈએ તે સમજવું ખૂબ જ જરૂરી છે.
છીંક બળતરાને બહાર કાઢવાના ઉદ્દેશ્ય સાથે નાકમાં બહારથી આવતા કણોના પ્રતિભાવમાં શરીરની પ્રક્રિયા છે પરંતુ આ પરિસ્થિતિની નિશાની પણ હોઈ શકે છે, જેમાં સૌથી સામાન્ય એલર્જીક રાઇનાઇટિસ છે. યુ.એસ. સરકારની નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન અનુસાર, એલર્જીક રાઇનાઇટિસની સારવાર નાકને અસર કરતા લક્ષણો સાથે જોડાયેલા છે. આવું એક લક્ષણ સતત છીંક આવે છે, જે ત્યારે દેખાય છે જ્યારે વ્યક્તિ એલર્જન (એક પદાર્થ જે એલર્જીને ઉત્તેજિત કરે છે)ની વચ્ચે શ્વાસ લે છે.
કેવી રીતે આવે છે છીંક?
બેંગલુરુની BGS ગ્લેનેગલ્સ ગ્લોબલ હોસ્પિટલ્સના ચીફ ENT અને એન્ડોસ્કોપિક સ્કલ બેઝ સર્જન ડૉ. પ્રશાંત રેડ્ડી, હેપ્પીએસ્ટ હેલ્થને જણાવતા કહે છે કે “નાકની અંદર ટર્બિનેટ તરીકે ઓળખાતી નાની રચનાઓ છે. નાકના આગળના છેડાનું નીચલું ટર્બીનેટ એકદમ સંવેદનશીલ છે. તેથી, જ્યારે કોઈ આ ભાગને ઇરીટેટ કરે છે, ત્યારે છીંક આવે છે. આ એક રક્ષણાત્મક પદ્ધતિ છે જે કોઈ પણ પ્રકારના પદાર્થને અથવા બળતરા કરી શકે તેવા પદાર્થને આપણા વાયુમાર્ગમાં પ્રવેશતા અટકાવે છે.”
ગુરુગ્રામ, હરિયાણાની પારસ હોસ્પિટલના વરિષ્ઠ સલાહકાર અને પલ્મોનોલોજીના HOD ડૉ. અરુણેશ કુમાર જણાવે છે કે “એક રીતે છીંક આવવી એ એક રક્ષણાત્મક પદ્ધતિ છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે તમારા શરીરની પ્રતિક્રિયા એટલે કે છીંક વધુ પડતી આવે છે. જો તમારી પાસે અત્યંત સંવેદનશીલ વાયુમાર્ગ છે, તો તમને વધુ છીંક આવે છે .
શા માટે કેટલાક લોકોને સતત છીંક આવે છે
આસામના ગુવાહાટીની 47 વર્ષીય બિહુ ડાન્સર મૌસમી પાઠક કે જેઓ છેલ્લા 20 વર્ષથી એલર્જી સાથે જીવે છે. મિત્રો અને કુટુંબીજનો તેને એવી વ્યક્તિ તરીકે ઓળખે છે જેને વારંવાર છીંક આવતી રહે છે. તેમના પર અત્યાર સુધીમાં લગભગ 35 એલર્જન માટેનું સફળ પરીક્ષણ થયું છે, જેમાં ધૂળના જીવાત અને પરાગનો પણ સમાવેશ થાય છે. વાતાવરણના ફેરફારો દરમિયાન તેમની એલર્જી ટોચ પર છે.
પાઠક કહે છે, “આ ટ્રિગર્સના કારણે મને સતત અને વારંવાર છીંક આવે છે. “એક પોઇન્ટ પછી મારી આંખોમાં સોજો આવે છે, પાણી ભરાય છે અને અત્યંત થાકેલી દેખાય છે. તેથી, જ્યારે પણ મને સતત છીંક આવે તેને રોકવા માટે હું હંમેશા મારી સાથે સૂચવવામાં આવેલી એલર્જીની ગોળીઓ લઉં છું.”
ડૉ. કુમાર કહે છે કે એક કે બે વાર છીંક આવવી તે સામાન્ય બાબત છે, પરંતુ વારંવાર આમ થવું તે એલર્જિક રાઇનાઇટિસની નિશાની હોઈ શકે છે. “આવી પરિસ્થિતિમાં એક ડૉક્ટરની સલાહ લેવી જોઇએ તેઓ કેટલીક એન્ટિ-એલર્જી દવાઓ આપશે કારણ કે વધુ પડતી છીંક થકવી નાંખે છે. તે તમારા જીવનની ગુણવત્તાને અસર કરે છે,”
ડૉ. રેડ્ડી કહે છે, “જ્યારે અમુક એલર્જન નાકમાં બળતરા કરે છે, તે હિસ્ટામાઈન રિલીઝ થવાનો સંકેત આપે છે. વાસ્તવમાં નાકની અંદર કોઈ બળતરા ન હોવા છતાં, તે વધુ પ્રમાણમાં ટ્રિગર થશે, જેના કારણે લોકોને એલર્જીક રિએક્શન દરમિયાન સતત છીંક આવે છે.
મેક્સ હોસ્પિટલ, દિલ્હીના પલ્મોનોલોજી અને ઊંઘની દવાના વરિષ્ઠ નિર્દેશક ડૉ. ઈન્દર મોહન ચુગ કહે છે કે એલર્જીક રાઇનાઇટિસના સ્ત્રોતને ટાળવું એ એલર્જિક નાસિકા પ્રદાહને નિયંત્રણમાં રાખવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
શા માટે કેટલાક લોકો અન્ય કરતા મોટેથી છીંકે છે?
ડો. રેડ્ડી કહે છે, “ પુરુષો સામાન્ય રીતે ફેફસાંની મોટી ક્ષમતાને કારણે જોરથી છીંકે છે, તેથી જ તેમની છીંકનો અવાજ ખૂબ જ મોટો હોઈ શકે છે. આમ, છીંકનો અવાજ વ્યક્તિના ફેફસાની ક્ષમતા અને વ્યક્તિની શારીરિક રચના પર આધાર રાખે છે.
ડૉ. કુમાર કહે છે કે વ્યક્તિનું વજન, શારીરિક રચના, મોં અને ગરદનનું કદ તેની છીંકનું પ્રમાણ નક્કી કરે છે. “લોકો નાનપણથી જ છીંકવાની પોતાની રીત નક્કી કરે છે. જેમકે, પશ્ચિમી દેશમાં ખૂબ જ શાંતિથી છીંક ખાવાને પ્રોત્સાહિત કરાય છે પરંતુ મારી સલાહ એ છે કે શક્ય તેટલી વખત કુદરતી રીતે છીંક ખાવી જોઇએ.”
શા માટે છીંકને દબાવવી ન જોઈએ?
2019 માં ધ અમેરિકન જર્નલ ઑફ રાઇનોલોજી એન્ડ એલર્જીમાં પ્રકાશિત થયેલા એક લેખ અનુસાર, છીંક આવતી હોય તે દરમિયાન ઉત્પન્ન થતું દબાણ ઘણું વધારે હોય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ છીંકને દબાવે છે, તો તે દબાણ એટલે કે પ્રેશર સામાન્ય કરતાં 5 થી 24 ગણું વધી શકે છે. આ પ્રાથમિક કારણ છે કે છીંકને દબાવી ન દેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ફેફસાંનો આકાર અને પ્રેશરમાં વધારો થવાને કારણે પુરુષોને છીંક આવતી વખતે ઈજા થવાનું જોખમ વધુ હોય છે.
ડો. કુમાર કહે છે, “જો તમે છીંકને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરશો, તો તે હાનિકારક બળતરા તમારા શરીરની અંદર રહી જશે, જે અનેક સમસ્યાઓનું કારણ બને છે.”
ડૉ. રેડ્ડી કહે છે, “જ્યારે તમે છીંકને દબાવી રહ્યાં હોય, ત્યારે તમે ઉચ્ચ દબાણવાળી હવા કે જે નાક દ્વારા બહાર આવતી હોય છે તે તમારા કાન તરફ ધકેલાય છે, જેના કારણે કાનનો પડદો ફૂલી જાય છે અને તેને નુકસાન થાય છે. આથી છીંકને કાબૂમાં રાખવાનું જરા પણ યોગ્ય નથી.”
છીંક પર નિયંત્રણ રાખવું જોઈએ ?
જ્યારે શરીરનું કોઈ અંગ અથવા પેટના અમુક નબળા સ્નાયુઓ અથવા પેશીઓના સ્તરો દ્વારા દબાણ કરે છે, ત્યારે તેને પેટનું હર્નીયા તરીકે ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિએ પેટના નબળા સ્નાયુઓ પર વધારે દબાણ ન કરવું જોઈએ. છીંક આવવાથી પેટમાં તણાવ થઈ શકે છે કારણ કે પેટના સ્નાયુઓ છીંકની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ડૉ. રેડ્ડી કહે છે, “જેમ તમે શ્વાસ લો છો તેમ, તમે જોશો કે પેટ મોટું થતું જાય છે.” આનું કારણ એ છે કે ડાયાફ્રેમ પેટની નીચેની તરફ ધકેલાશે પરંતુ જ્યારે તમે શ્વાસમાં લીધેલી હવાના જથ્થાને બહાર કાઢો છો, ત્યારે ફેફસાની ક્ષમતાને સંકોચવા અને તે હવાને બહાર કાઢવા માટે પેટના સ્નાયુઓ દ્વારા ડાયાફ્રેમ ઉપર દબાણ કરવામાં આવશે. તેથી, જ્યારે કોઈ વ્યક્તિ છીંકે છે, ત્યારે ડાયાફ્રેમ સાથે પેટના સ્નાયુઓ ઝડપથી હવાને બહાર ધકેલવા માટે એકસાથે સંકોચાય છે.
ડૉ. કુમાર કહે છે કે છીંક આવવી એ એક પ્રક્રિયા છે જેમાં છાતીની દિવાલ, ગરદન, ચહેરો અને પેટના સ્નાયુઓનો સમાવેશ થાય છે. “આ બધા જ અવયવ છીંક આવે ત્યારે સાથે મળીને કામ કરે છે,” તેઓ વધુમાં જણાવે છે “જો કોઈને પેટનું હર્નીયા હોય, તો પેટમાં દબાણ વધવાના કારણે છીંકની તમારા પેટ માટે સંભવિત રીતે હાનિકારક હોઈ શકે છે. “સતત છીંક આવવાથી હર્નીયાની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.”
યાદ રાખવા જેવા મુદ્દા
બહારથી આવતા બળતરા કરનારને બહાર કાઢવાની પ્રક્રિયામાં છીંક આવવીએ શરીરની કુદરતી સંરક્ષણ પદ્ધતિ છે. જો કે વારંવાર છીંક આવવીએ એલર્જિક બ્રોન્કાઇટિસની નિશાની હોઈ શકે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે છીંકને ક્યારેય રોકવાનો પ્રયત્ન ન કરવો જોઈએ, એવી પરિસ્થિતિઓમાં જ્યાં પેટના સ્નાયુઓ તાણ ન હોવા જોઈએ, જેમ કે હર્નીયા થયું હોય તેવા કિસ્સામાં, છીંક આવવી નુકસાનકારક બની શકે છે.