ડાયાબિટીઝ, એ મેટાબોલિક સ્થિતિ છે, જે આ દાયકાઓમાં આરોગ્યની દ્રષ્ટીએ વૈશ્વિક સમસ્યા તરીકે સામે આવી રહી છે પરંતુ, હાસ્યજનક બાબત એ છે કે, મોટાભાગના લોકો કેટલીક તંદુરસ્ત જીવનશૈલી અને આહારની ટેવ અપનાવવાથી તેને નિયંત્રણમાં રાખી શકે છે. ડાયાબિટીઝને કંટ્રોલમાં રાખવા માટે તેને નિયંત્રણમાં રાખવાની યોગ્ય રીતો જાણવી મહત્વપૂર્ણ છે.
અહીં ડાયાબિટીસ વિશેની લોકોમાં ફેલાયેલી અમુક સામાન્ય માન્યતાઓ છે કે, જેની વાસ્તવિકતા તર્ક અને વૈજ્ઞાનિક સમજૂતીના આધારે નિષ્ણાતો દ્વારા સમજાવવામાં આવી છે.
માન્યતા – 1 : ફક્ત મીઠાઈઓ જ ડાયાબિટીસની બીમારીને આમંત્રણ આપે છે, જ્યારે ભાત અને રોટલી સુરક્ષિત ભોજન છે.
વાસ્તવિક્તા : ડાયાબિટીઝનું મેનેજમેન્ટ એ માત્ર મીઠાઇના ખાવાને ઘટાડવા પુરતું જ નથી. ઉલટાનું, તે ભાત અથવા રોટલીના સ્વરૂપમાં શરીરમાં જતાં કાર્બોહાઇડ્રેટ્સની વધારાની માત્રાને મર્યાદિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ડાયાબિટોલોજિસ્ટ્સ નિર્દેશ કરે છે કે, રિફાઇન્ડ અથવા સરળ કાર્બોહાઇડ્રેટ્સ શરીરમાં રહેલા ગ્લુકોઝમાં ભળી જાય છે. તેથી, તેમને સંપૂર્ણપણે ટાળવું જોઈએ અથવા તેના ખાવા પર અમુક કડક પ્રતિબંધો રાખવા જોઈએ. પ્રૉસેસ્ડ અને જંકફૂડનું પણ આવું જ છે, જે તળેલું અને બેક્ડ બંને રીતે હોય છે, કારણ કે તે રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ અને સુગરથી ભરપૂર હોય છે.
જો કે, આખા અનાજ જેવા જટિલ કાર્બોહાઇડ્રેટ્સનું સુરક્ષિત રીતે સેવન કરી શકાય છે. બેંગલુરુના એપોલો ક્લિનિકના કન્સલ્ટન્ટ ડાયાબિટોલોજિસ્ટ ડૉ. બાલાજી જગનમોહન જણાવે છે કે, ‘જટિલ કાર્બોહાઇડ્રેટ્સમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ નીચો હોય છે, તેથી તે સરળ કાર્બોહાઇડ્રેટ્સની જેમ બ્લડસુગરનાં સ્તરમાં અચાનક અને નોંધપાત્ર વધારો નહીં કરે.’
માન્યતા – 2 : ડાયાબિટીસથી પીડિત લોકો જો કસરત કરે તો તેનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
વાસ્તવિક્તા : ડૉ. જગનમોહન જણાવે છે કે,” જ્યારે ડાયાબિટીક લોકો કરસત કરે છે ત્યારે તેમનું શરીર ઇન્સ્યુલિન વગર જ ગ્લુકોઝનો ઉપયોગ કરી શકે છે. આમ, દવા વિના તેમના બ્લડશુગરનું સ્તર સુધરી શકે છે.” ટાઇપ-1 અને ટાઇપ-2 ડાયાબિટીસ બંને પ્રકારના રોગીઓએ 20-30 મિનિટ સુધી અઠવાડિયામાં કમ સે કમ ત્રણ વખત કસરત કરવી જોઈએ, જેથી બ્લડશુગરને નિયંત્રિત કરી શકાય. વિજયવાડાની મણિપાલ હૉસ્પિટલનાં એન્ડૉક્રિનોલોજીસ્ટ ડૉ. ગિરિધર અદાપા સૂચવે છે કે, ‘તેઓ આરામ કરવા માટે ચાલવા જઈ શકે છે અથવા એરૉબિક કસરત, ઊંડા શ્વાસ લેવાની કસરત અને ધ્યાન કરી શકે છે.’
માન્યતા – 3 : ડાયાબિટીક લોકો દારુનું સેવન ન કરી શકે
વાસ્તવિક્તા : સામાન્ય રીતે લોકોને દારુનું સેવન છોડવાની સલાહ આપવામાં આવે છે પરંતુ નિષ્ણાતો જણાવે છે કે, ડાયાબિટીસથી પીડિત લોકો દર અઠવાડિયે એક કે બે ગ્લાસ દારુનું સેવન કરી શકે છે. જો કે આ સમયે બ્લડ શુગર હાઈ અને લૉ ન થાય તેની વિશેષ સાવચેતી રાખવી. ડાયાબિટીસથી પીડિત લોકોએ દારુનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. આના માટે તમારે તમારા ડાયાબિટોલોજિસ્ટની પણ અમુક સમયે સલાહ લેવી જોઈએ અને તેમની સલાહનું પાલન કરવું જોઈએ.
માન્યતા – 4 : ડાયાબિટીસથી પીડિત લોકોએ ફળોનું સેવન ટાળવું જોઈએ
વાસ્તવિકતા : કેરી, કેળા અને જેકફ્રૂટમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે, તેથી તેને પ્રમાણસર ખાવું જરૂરી છે. ડૉ. જગમોહન આ વાત પર પ્રકાશ આપતાં જણાવે છે કે, ‘ડાયાબિટીસ ધરાવતા લોકો તમામ પ્રકારના ફળો ખાઈ શકે છે પરંતુ, તેને કેટલા પ્રમાણમાં ખાવું તેના પર ધ્યાન આપવું જરુરી છે.’ ડૉ. અદાપા ઉમેરે છે કે, ‘ડાયાબિટીસથી પીડિત લોકો માટે નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ફળો ખાવા લાભદાયી છે કારણ કે, તે તમારા બ્લડ શુગરમાં એકાએક વધારો કે ઘટાડો લાવશે નહીં.’
માન્યતા – 5 : ટાઇપ-2 ડાયાબિટીસથી પીડિત લોકોને ક્યારેય ઇન્સ્યુલિનની જરૂર પડતી નથી.
વાસ્તવિક્તા : ટાઇપ-2 ડાયાબિટીસ એક પ્રગતિશીલ રોગ છે અને સમય જતાં તે વધુ ગંભીર બની શકે છે. ડૉ. જગનમોહન કહે છે કે, ‘સ્વાદુપિંડમાં રહેલા બીટા કોષ ઇન્સ્યુલિનની સંખ્યા અને કદમાં ઘટાડો કરે છે.’ નિષ્ણાતો જણાવે છે કે, જેના પરિણામે વ્યક્તિને જેટલો લાંબો સમય ડાયાબિટીસ હોય તેટલી વધુ દવાઓ લેવાની જરૂર પડે છે. છેવટે, શરીર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાનું બંધ કરી શકે છે. તેથી, ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા તમામ લોકોને દવા લીધાના ઘણાં વર્ષો પછી પણ ઇન્સ્યુલિનની જરૂર પડી શકે છે, ખાસ કરીને જ્યારે ડાયાબિટીસ કંટ્રોલમાં ન હોય તો.’
માન્યતા – 6 : ડાયાબિટીસથી પીડિત લોકો માટે આર્ટિફિશિયલ શુગર ધરાવતી વસ્તુઓનું સેવન સુરક્ષિત છે.
વાસ્તવિક્તા : ડૉ. અદાપા કહે છે કે, ‘આર્ટિફિશિયલ સ્વીટનર્સ શોધવા એકદમ સરળ છે અને તેનો ઉપયોગ તમે શુગરનાં વિકલ્પ તરીકે કરી શકો છો. ડાયાબિટીસથી પીડિત લોકોને શુગરનું સેવન ટાળવાની ભલામણ કરવામાં આવે છે. જો તે ઈચ્છે તો કૃત્રિમ કરતાં સ્ટીવિયા જેવા કુદરતી સ્વીટનર્સની પસંદગી કરી શકે છે પરંતુ, તેઓ ઉમેરે છે કે ખાંડને બદલે ગોળ અથવા મધનો ઉપયોગ કરવાથી લોહીમાં ગ્લુકોઝ પણ વધી શકે છે કારણ કે, તેમાં કુદરતી ફ્રુક્ટોઝ અથવા સુક્રોઝ અને ગ્લુકોઝ પણ હોય છે.’
ડૉ. જગનમોહન જણાવે છે કે, ‘સંશોધનમાં જાણવા મળ્યું છે કે આર્ટિફિશિયલ સ્વીટનર્સ હૃદયરોગનું જોખમ વધારી શકે છે પરંતુ, તેનો ઉપયોગ મધ્યસ્થતામાં થઈ શકે છે.’
માન્યતા – 7 : જે મહિલાઓ ડાયાબિટીસથી પીડિત હોય તે પ્રેગ્નન્ટ થઈ શકતી નથી
વાસ્તવિકતા : ડૉ. અદાપા સમજાવે છે કે, જ્યારે શુગર નિયંત્રણમાં હોય છે ત્યારે મહિલા ગર્ભવતી બની શકે છે અને તંદુરસ્ત જીવન પણ જીવી શકે છે. ડૉ. જગનમોહન પણ આ વિશે ભારપૂર્વક જણાવે છે કે,‘તેઓએ દવાઓ લઈને, હેલ્થી લાઇફસ્ટાઇલ અપનાવીને, સારો આહાર લે અને ઇન્સ્યુલિન લઈને તેમના બ્લડ શુગરનાં સ્તરને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’
માન્યતા – 8 : બ્રેસ્ટફિડિંગ કરાવતી વખતે ડાયાબિટીસ થઈ શકે છે
વાસ્તવિક્તા : ડૉ. જગનમોહન સમજાવે છે કે, ડાયાબિટીસ ધરાવતી સગર્ભા માતાઓને તેમના બાળકોને સ્તનપાન કરાવવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ. વધુમાં, સ્તનપાન શક્ય તેટલા લાંબા સમય સુધી ચાલુ રાખવું જોઈએ કારણ કે, બ્રેસ્ટફિડિંગથી બાળકનાં શરીરમાં ગ્લુકોઝ પ્રવેશવાનું જોખમ રહેતું નથી અને તેના કારણે બાળકમાં ડાયાબિટીઝ થવાનું જોખમ પણ રહેતું નથી. ડૉ. અદાપા સ્પષ્ટતા કરે છે કે,‘જો બાળકને સ્વાદુપિંડમાં કોઈ સમસ્યા હોય તો જ કોઈ ગંભીર સમસ્યા ઉદ્દભવી શકે છે. જો કે બ્રેસ્ટફિડિંગ દ્વારા ડાયાબિટીસ બાળકનાં શરીરમાં પ્રવેશી શકતો નથી.’
માન્યતા – 9 : એક વખત રિવર્સ થયા પછી ટાઇપ-2 ડાયાબિટીસ ફરી નથી થતો
વાસ્તવિક્તા : ડૉ. જગનમોહન સમજાવે છે કે, જો કોઈ યુવાન વ્યક્તિ ડાયાબિટીસનાં શરુઆતનાં સ્ટેજમાં હોય તો તે હેલ્થી લાઇફસ્ટાઇલને અનુસરે, દવાઓ લે અને પોતાના શરીરના વજનને નિયંત્રિત કરે તો ડાયાબિટીસમાંથી મુક્તિ મેળવવી શક્ય છે.
ડૉ. અદાપા ઉમેરે છે કે, ‘જો જીવનશૈલી અથવા આહારમાં અચાનક ફેરફાર થાય છે તો બ્લડશુગર વધી શકે છે, જેના કારણે ડાયાબિટીઝ પાછો આવી શકે છે. તેથી, આ રોગને અટકાવી શકાય છે પરંતુ, તેનાથી સંપૂર્ણપણે મુક્તિ મેળવી શકાતી નથી.’
માન્યતા – 10 : ડાયાબિટીસનો આધાર પારિવારિક ઇતિહાસ પર રહેલો છે
વાસ્તવિકતા : ટાઇપ-2 ડાયાબિટીસ એ જીવનશૈલીને લગતો મેટાબોલિક રોગ છે. કોઈપણ વ્યક્તિ આ રોગનો શિકાર બની શકે છે પછી ભલે તેના પરિવારમાં કોઈને ડાયાબિટીસ હોય કે ન હોય. ટાઇપ-2 ડાયાબિટીસનાં મુખ્ય જોખમી પરિબળોમાં ઑબેસિટી, ઊંઘનો અભાવ અને શુદ્ધ કાર્બોહાઇડ્રેટથી સમૃદ્ધ આહારની સાથે અપર્યાપ્ત શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે.